Thursday, December 9, 2010

Aagamvani





શ્રી નિષ્કલંકી નારાયણ અવતાર વિષે અન્ય સંત મહાત્માઓની
♦ આગમવાણી ♦






 1. સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજઃ-
      શ્રી સતપંથ ધર્મમાં સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે પૂજામાં જળ ભરવાના મંત્રમાં એમ કહ્યું છે કે સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ અરજ કરે છે કે-


"જાંબુદ્ગિપને કુંવારીકા ક્ષેત્રે, નિષ્કલંકી નારાયણ સ્વરુપે,


કળશમાં આવી કળા ધરોને ઘટમાં આવી વાસ કરો."


      સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે શ્રી વિષ્ણુ ભગવાનના દશ અવતારનું વર્ણન કરેલ છે. જેમાં નવ અવતારને વંદન કરી કલિયુગના અંતે પ્રગટ

થનાર શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનનું સ્મરણ, ઘ્યાન, પૂજા, પ્રાર્થના, ભક્તિ, ઉપાસના કરવી એમ તેમની વાણી દ્વારા સમજાવ્યુ છે.

 2. સંતશ્રી તુલસીદાસજી મહારાજઃ-
      ગોસ્વામી સંતશ્રી તુલસીદાસજી મહારાજ શ્રી રામના ઉપાસક હતા. તેમણે આગમવાણીમાં સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ ની વાણીને સમર્થન આપ્યુ છે.


|| દોહરો ||


"ભવતાણ ભગવંત ભજ, ધારણ ધર ઉપર ધ્યાન,


એ ધારણ આગમ એહી, નિષ્કલંકી એહી નામ."


       હે મનુષ્ય કળીયુગમાં ભવસાગર તરવા માટેનો એક જ રસ્તો છે. તારા ઉરમાં અંતરમા "શ્રી નિષ્કલંકી" નામ સ્મરણ કર. એના નામની ભક્તિ કર, તો ચોર્યાસીના ફેરામાંથી જરુર મુક્તિ મળશે. એવુ હું આગમ દેખું છું એમ સંત તુલસીદાસ કહે છે.



 3. ભક્ત નરસિંહ મહેતાઃ-
       શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત નરસિંહ મહેતાએ પણ સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ ની વાણી ને સમર્થન આપ્યું છે.

"ઘોડલે ચડીને નિષ્કલંકી આવશે, આવે મારો યુગો યુગનો સ્વામી


કલિયુગ ઉથાપી સતયુગ થાપસે, મહેતા નરસિંહના સ્વામી."


       કળીયુગ અંતે ભગવાન નિષ્કલંકી નારાયણ ઘોડા ઉપર સ્વાર થઇને આવશે. કલિયુગનું ઉથાપન કરી સતયુગનું સ્થાપન કરશે. અસુરોનો સંહાર કરી ભક્તોનો ઉધ્ધાર કરશે. એવું નરસિંહ મહેતા એ ઉપરની એક ભજનની પંક્તિમાં કહ્યું છે. તેજ વાત સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે સતપંથી ભક્તોને કહી છે.



 4. વેદમ વ્યાસ મુનિઃ-
      દ્વાપર યુગના સદગોર શ્રી વેદમ વ્યાસ મુનિએ ભાગવતના શ્ર્લોકમાં તેનું વર્ણન કરેલ છે અને સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ ની વાણી ને સમર્થન આપ્યુ છે.

|| શ્ર્લોક ||


"હનિષ્યતિ કલેરંતે, મ્લેચ્છાં સ્તુરંગવાહનઃ


ધર્મ સંસ્થાપનાર્થાય તસ્મૈ કલ્કાયાત્મને નમઃ"


      ધર્મની થયેલી હાની પછી, તેના પુનઃ સ્થાપનને માટે કલિયુગને અંતે, અશ્વારુઢ થઇને, જે આસુરી તત્વોનો નાશ કરશે તે નિષ્કલંકી અવતાર ને હું નમસ્કાર કરુ છું. જે અસુરોનો સંહાર કરી ભક્તોનો ઉધ્ધાર કરશે.



 5. દેવાયત પંડિતઃ-
   ગુરુ શોભાજી મહારાજે કરેલ આગમવાણીનું જ્ઞાન દેવાયત પંડિતે સતિ દેવલદેને સમજાવ્યું છે.જેમાં કહ્યું છે કે-

"યતિ સતિ ને સાબરમતી, ત્યાં હોસે શુરાના સંગ્રામ,


દૈત્ય કાલિંગાને મારશે, ધરસે નિષ્કલંકી નામ."


      જે વાત આ દેવાયત પંડિતે આગમવાણીના ભજનમાં કહી છે. તેજ વાત સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે ગાયત્રી મંત્ર પાંચમામાં બતાવેલ છે કે - દ્વીપે, સદ્વીપે, જાંબુદ્વિપે, કોટાંગ કોંટાંગ, જીવનંગ પરમ મુક્તિમઃ મિંઘઃ ઓત્રંગ દેશંગ, કુમારીકા ક્ષેત્રંગ, મુક્ત ગંગ, સત્ય મુખંગ, વભુત નગર, વૈરાટ વામે, ભવેતંગ, મહા સર્સતિસાભ્રમતિ, પૂર્વ ત્રષ્ટે, નવ સ્થળે, ગુર્મટે, રેવા ઓત્રંગ, ષોડશ જોજનંગ, પંચનદી મૂળ સ્થાને, એટલે કે નર્મદા નદીથી સોળ જોજન એટલે ચોસઠ ગાઉ પીરાણા મુકામે સાબરમતી કિનારે, આ સરનામા પ્રમાણે કલિયુગને અંતે નિષ્કલંકી ભગવાન આવશે ને દૈત્ય કાલિંગાને સંહારીને, ભક્તોનો ઉધ્ધાર કરી, કલિયુગનું ઉથાપન કરી સતયુગનું સ્થાપન કરશે. એવી આગમવાણીમાં સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે કહ્યું છે. અને તે જ પ્રમાણે દેવાયત પંડિતે પણ ભજનમાં આ જ સ્થળ બતાવેલ છે કે દૈત્ય કાલિંગાને સંહારવા માટે નિષ્કલંકી ભગવાનનું પ્રાગટય થશે. કલિયુગનું ઉથાપન કરી સતયુગનું સ્થાપન કરશે એમ દેવાયત પંડિત કહે છે.



 6. શ્રી રામદેવ પીર મહારાજઃ-
      વિષ્ણુ નારાયણના અંશાવતાર શ્રી રામદેવ પીર મહારાજે એમની આગમવાણીમાં સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજની વાણીને સમર્થન આપ્યુ છે.

"કુંવારીકામાં માંડવો રચીયો, નિષ્કલંકીને પરણાવવા,


પાંચ, સાત, નવ આગળ મોકલ્યા, માંડવડો શણગારવા."


      તો એ જ વાત સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે કરી છે કે ભગવાન નિષ્કલંકી નારાયણ કલિયુગને અંતે પ્રગટ થશે. ભગવાન વિષ્ણુ આદી નારાયણની કળા લઇને પાતાળમાં દૈત્ય શંખાસુર પાસે વેદ લેવા ગયા ત્યારે વિષ્ણુ ભગવાને ધરતી માતા ને વચન આપ્યુ છે કે કલિયુગ ના અંતે જાંબુદ્વિપે કુંવારીકા ક્ષેત્ર ભૂમિ ઉપર દસમો અવતાર નિષ્કલંકી નારાયણ ધારણ કરીશ. ત્યારે તમોને વરીશ. આ વચન મુજબ ભગવાન કુંવારીકા ભૂમીને પરણશે તેવું પાતાળમાં વચન આપેલું છે. તેમ સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે તેમની વાણીમાં વર્ણન કરેલ છે. અને તેજ વાતનું વર્ણન અહી રામદેવપીર મહારાજે કહેલ છે. કે કુંવારીકામાં માંડવો રચાશે, નિષ્કલંકીને પરણાવવા, પાંચ, સાત, નવ આગળ મોકલ્યા, માંડવડો શણગારવા. પાંચ એટલે પાંચ કરોડી પ્રહલાદ, સાત કરોડી હરિશ્ર્ચંદ્ર, નવ કરોડી યુધિષ્ઠિર અને બાર કરોડી કમળા કુંવર આગળ તૈયારી કરવા આવશે. એમ રામદેવપીર મહારાજે આગમ કહ્યાં છે.